૯ જુલાઈ-૧૯૦૨ના ઠરાવથી તત્કાલીન ભારત સરકારે એક પોલીસ આયોગની રચના કરી હતી. આયોગે તારીખ ૩૦/૦૫/૧૯૦૩ના રોજ પોતાની કામગીરી પૂર્ણ કરી, તત્કાલીન સરકારશ્રીને અહેવાલ સુપરત કરેલો. આ અહેવાલમાં એક મુખ્ય ભલામણ એ હતી કે ભારતના દરેક પ્રાંતમાં, Criminal Investigation Department - ગુના અન્વેષણ વિભાગની રચના કરવામાં આવે કે જેથી આયોજિત ગુનાખોરી ડામી શકાય અને અગત્યનાં તેમ જ સંવેદનશીલ અન્વેષણો આ વિભાગ દ્વારા થઈ શકે. બૃહદ મુંબઈમાં રાજ્ય સરકારે આયોગની ભલામણ સ્વીકારી, જેના ફળ સ્વરૂપે બોમ્બે પોલીસના અગત્યના અંગ તરીકે ગુના અન્વેષણ વિભાગની રચના કરવામાં આવેલી. આયોગની ભલામણ મુજબ આ વિભાગને એક નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી દરજ્જાના અધિકારીના નેજા હેઠળ મૂકવામાં આવ્યો. એક અગત્યની ભલામણ એ પણ હતી કે રેલવે પોલીસને ગુના અન્વેષણ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની દેખરેખ હેઠળ મૂકવામાં આવે. જે ભલામણ પણ સરકારે સ્વીકારી હતી.
ગુના અન્વેષણ વિભાગમાં, પોલીસ સંશોધન કેન્દ્ર (પી.આર.સી.) તા. ૮/૯/૬૫થી કાર્યરત છે. પોલીસ સંશોધન કેન્દ્ર પોલીસને લગતા વિષયો તેમ જ ગુનાઓ ઉપર આર્થિક અને સામાજિક પરિબળોની અસરો સંબંધે સંશોધનની કામગીરી કરે છે.
તેવી જ રીતે સીઆઇ સેલની રચના તા. ૭/૨/૧૯૭૦ના નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, સીઆઇડી ક્રાઇમ અને રેલવેના હુકમથી કરવામાં આવેલી. સીઆઇએલની કામગીરી રાજ્યમાં બનતા ગુનાઓની માહિતી એકત્રિત કરી, ગુનો કરવાની પદ્ધતિનો અભ્યાસ કરી, સ્થાનિક પોલીસને ગુના શોધવામાં મદદ કરવાની છે.
વસ્તીવધારો, મોંઘવારી, તથા અન્ય પરિબળોના કારણે, પોલીસની કામગીરી પડકારરૂપ બની છે. બદલાયેલા સમય અને સંજોગોમાં આયોજનબદ્ધ રીતે આચરવામાં આવતા આર્થિક ગુનાઓમાં પણ વધારો થવા પામ્યો છે. ઝડપી વાહનવ્યવહાર અને સંદેશવ્યવહારનાં આધુનિક સાધનોની ઉપલબ્ધિના કારણે ગુનો કરવાની અને ગુનો કર્યા બાદ નાસી જવાની સરળતાની તકો વધી જવા પામી છે. વણશોધાયેલા ગુનાઓને શોધવા માટે અને ગુનેગારોને કોર્ટ દ્વારા સજા થાય તે માટે ગુનાઓની તપાસ વૈજ્ઞાનિક ઢબે અને નિષ્ણાતોની મદદથી થાય અને તપાસની ગુણવત્તાનું પ્રમાણ વધુ ઊચું રહે તેમ જ તપાસ ઝડપી અને સમયમર્યાદામાં થાય તે પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં એક અગત્યની બાબત બની રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા, રાજ્ય સરકારે ગુના અન્વેષણ વિભાગ - સીઆઇડી હસ્તક વધુ અગત્યની કામગીરીઓનો ઉમેરો કર્યો.
આ બાબતે પ્રથમ તા.૧૦/૧૨/૧૯૯૩ ના ઠરાવથી કેફી દ્રવ્યોનાં દૂષણ અને ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે નાર્કોટિક્સ સેલની રચના કરી, આ સેલ સીઆઇડી ક્રાઇમ હસ્તક મૂકવામાં આવ્યો અને ત્યાર બાદ તારીખ ૯/૧૦/૧૯૯૭ના ઠરાવથી આર્થિક ગુનાઓની અગત્ય ઓળખી, આર્થિક ગુનાવિરોધી સેલની રચના કરી અને તેની જવાબદારી પણ સીઆઇડી ક્રાઇમ - ગુના અન્વેષણ વિભાગને સોંપવામાં આવી. છેલ્લે રાજ્ય સરકારે તારીખ ૨૦/૦૨/૧૯૯૮ના ઠરાવથી મહિલાઓને લગતા કાયદાઓનો અસરકારક અમલ થાય તેમ જ મહિલાઓના ગુનાઓને લગતી ફરિયાદ મુક્ત અને નિર્ભય પણે થઈ શકે તે માટે એક મહિલા સેલની રચના કરી અને તેની જવાબદારી પણ સીઆઇડી ક્રાઇમ - ગુના અન્વેષણ વિભાગને સોંપવામાં આવી.
નાયબ પોલીસ મહાનિરિક્ષક (ક્રાઇમ-૪)નાઓની સીધી દેખરેખ હેઠળ સાયબર ક્રાઇમ સેલ હાલમાં કાર્યરત છે.
|